
મહાદેવના ભક્તો આનંદો: બે માસ સુધી ચાલશે શ્રાવણ માસ, અધિક માસમાં ભગવાન શિવ અને વિષ્ણુની વરસશે કૃપા....
શ્રાવણ માસ દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. આ માસમાં ભગવાન શિવના ભક્તો પૂર્ણ ભક્તિભાવથી મહાદેવની પૂજા કરે છે. દર વર્ષે અષાઢ માસની પૂર્ણિમા તિથિના બીજા દિવસથી શ્રાવણ માસની શરૂઆત થાય છે. આ વખતે 4 જુલાઇ 2023થી સાવનનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે, જે 31 ઓગસ્ટ 2023 ના રોજ સમાપ્ત થશે. એટલે કે આ વખતે ભક્તોને કુલ 59 દિવસ દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનો સમય મળશે. એવું માનવામાં આવે છે કે આવો સંયોગ ઘણા વર્ષો પછી બની રહ્યો છે. અને આ વખતે ભોલેનાથના ભક્તોને તેમની પૂજા કરવા માટે 4ને બદલે 8 સોમવાર મળશે. આવી સ્થિતિમાં, આવો જાણીએ કે આ વખતે આવો સંયોગ કેમ બની રહ્યો છે...
►આવો સંયોગ કેમ બની રહ્યો છે?
વૈદિક કેલેન્ડર અનુસાર સુર્ય અને ચંદ્ર માસના આધારે ગણતરી કરવામાં આવે છે, જેમાં ચંદ્ર માસ 354 દિવસનો હોય છે. અને સુર્ય માસ 365 દિવસનો છે. બંનેમાં 11 દિવસનો તફાવત છે અને ત્રીજા વર્ષે આ તફાવત 33 દિવસનો થઈ જાય છે જેને અધિક માસ કહેવાય છે. આવી સ્થિતિમાં આ વખતે શ્રાવણ માસ બે મહિનાનો થવાનો છે.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ અધિક માસના સ્વામી છે. જ્યારે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આવી સ્થિતિમાં આ વખતે શ્રાવણ અને અધિકમાસ એકસાથે આવવાથી ભગવાન શિવ-શંકરની સાથે વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થશે. અધિક માસને શાસ્ત્રોમાં મલમાસ પણ કહેવામાં આવે છે. 19 વર્ષ પછી એવો અદ્ભુત સંયોગ રચાઈ રહ્યો છે કે શ્રાવણનો મહિનો બે મહિના સુધી ચાલશે.
►જાણો અધિકમાસ શું હોય છે ?
હિંદુ કેલેન્ડર મુજબ દર ત્રણ વર્ષે એક વધારાનો મહિનો આવે છે. તે અધિકમાસ, મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. મહત્વનું છે કે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે. પરંતુ જે માસમાં સંક્રાંતિ ન હોય તેને અધિકામાસ અથવા મલમાસ તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
►અધિકમાસનો સમયગાળો શું છે?
તમને જણાવી દઈએ કે હિંદુ કેલેન્ડર મુજબ વર્ષ 2023માં અધિક મહિનો 18 જુલાઈથી શરૂ થશે અને 16 ઓગસ્ટ 2023 સુધી રહેશે. મહત્વનું કે દર ત્રણ વર્ષ પછી એટલે કે દર 32 મહિના અને 16 દિવસે અધિકમાસ આવે છે.
►જાણો અધિકમાસનું મહત્વ
જ્યોતિષ અનુસાર અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ગ્રહ શાંતિ, દાન, પુણ્ય, વિષ્ણુ મંત્રોનો જાપ વગેરે કરવામાં આવે છે. આમ કરવાથી અધિકમાસના અશુભ પરિણામોથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે મલમાસમાં પૂજા કરનારા લોકોને ભગવાન વિષ્ણુ સ્વયં આશીર્વાદ આપે છે. તેમના પાપોમાંથી મુક્તિ આપે છે અને ભક્તોની તમામ મનોકામના જલ્દી પૂર્ણ કરે છે.
►બે શ્રાવણ માસના સોમવારની તારીખ
>શ્રાવણનો પ્રથમ સોમવાર: 10 જુલાઈ
>શ્રાવણનો બીજો સોમવાર: 17 જુલાઈ
>શ્રાવણનો ત્રીજો સોમવાર: 24 જુલાઈ
>શ્રાવણનો ચોથો સોમવાર: 31 જુલાઈ
>શ્રાવણનો પાંચમો સોમવાર: 07 ઓગસ્ટ
>શ્રાવણનો છઠ્ઠો સોમવાર: 14 ઓગસ્ટ
>શ્રાવણનો સાતમો સોમવારઃ 21 ઓગસ્ટ
>શ્રાવણનો આઠમો સોમવારઃ 28 ઓગસ્ટ
mahadev, shravan month, adhik maas, adhik mas, shravan mas, gujarati calender, shravan somvar, shravan monday, pray, shiv, bholenath, adhik maas 2023, grace